Pages

Thursday 24 March 2016

વાંચનની ઓસરતી જતી વૃતિ એક ચિંતાનો વિષય કે પછી સમાધાન વૃતિ ?



એક અમેરિકન – વોટ ઇઝ ગીતા ? યુ નો ગીતા ? 
ભારતીય – યસ શી ઈઝ માય નૈબેર.

               આ પરિણામ છે દુનિયામાં વધતી જતી શોર્ટ મેસેજ સર્વિસ(sms)નું.  sms ની દુનિયાએ આપણી  બુદ્ધિની સામેવાળાને સમજવાની શક્તિને કેટલી હદે કોરી ખાધી છે. સામે વાળો માણસ કોઈ વ્યક્તિ વિષે પૂછે તો who થી પૂછે  what નહિ.એક ભારતીયને ‘ગીતાજી’ શું એ પણ ખબર ન હોય તો પછી વાત જ પૂરીને...?
             આ રોગ કોઈ એક વ્યક્તિ, વ્યક્તિ સમૂહ કે કોઈ એક પ્રદેશના લોકોનો નથી. આ રોગ આજે સર્વત્ર વ્યાપેલો રોગ છે. જે રોગ દિન પ્રતિદિન વાયુ વેગે વકરી રહ્યો છે. આ રોગ આપણને, આપણા પરિવારને અને આપણી નવી પેઢીને કેટલો ભારે પડી શકે છે ? વિચાર કર્યો છે ? આપણને ડેન્ગ્યું ને સવાઈનફ્લુથી બચવાના વિચારો આવે છે. આવા રોગ થી બચવા સાવચેતીના પગલા આપને લીધા છે.પરંતુ ક્યારેય ઓસરતી જતી તમારી વાચન વૃતિ વિચાર શૂન્યતાના મહાભયંકર  રોગમાં આપણને ધકેલી શકે છે....! સાવચેતીના પગલા લેવાનો વિચાર આવ્યો છે ? 
    તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કેટલા છાપાઓ બહાર પડે છે ? ૬૨૪૮૩. આકડાઓ મુજબ તેનું કુલ સર્ક્યુલેશન ૧૮.૫ કરોડ કરતા પણ વધારે છે.આ ઉપરાંત ૯ કરોડ કરતાય વધુ સર્ક્યુલેશન ધરાવતા મેગેઝીનોની સંખ્યા ૬૩૪. જેની રીડરશીપ આશરે ૨૦ કરોડ થી પણ વધારે ગણવામાં આવી છે. આ ઉપરાંત whatsapp અને fb માં આપણે દરરોજ કેટલું વાચી નાખીએ છીએ ? ( ન વાચવાનું ? )
          આટલું બધું રોજ વંચાય છે તો કોણ કહે છે કે, ભારતમાં લોકો ઓછું વાંચે છે ? 
ધૂળ ખાતી લાઈબ્રેરીઓ ની અલમારીઓ....!
પુસ્તકો અને ગ્રંથોના વિતરકો.....!
જાહેર પુસ્તક મેળામાં ઉભરતા લોકોના સર્વેક્ષણો….!

                આજે ભારતમાં જેટલું કઈ વંચાય છે એ સાથે ખેદ એ છે કે છાપાઓના પહેલે પાનેથી શરુ કરીને છેલા પાનાના છેલા શબ્દો સુધી વાંચનારાઓમાં એવા કેટલા છે કે જે રામાયણ કે ગીતાજી જેવા સદગ્રંથોને પોતાના આત્માની જરુરીયાત સમજતા હોય ? આજે પ્રશ્ન એ છે કે, શું આપણે આપણી યુવા પેઢીમાં સદ વાંચનની ટેવ ને ખીલવી શકીશું ખરા ?

            વાંચનનો થોડો શોખ ધરાવતા યુવાનો પણ આજે બહુ બહુ તો પોતાના અભ્યાસનું, થોડુ જનરલનોલેજ  ને વધારામાં નઠારા છાપાઓને  તેની પૂર્તિઓ જ વાંચે છે. પરંતુ સદવાંચનને નામે તો મીંડું.
          એક જાણીતા બુકશોપના માલિકના શબ્દો : “ મારે ત્યાં ખરીદી કરવા આવતા યુવક યુવતિઓમાં ક્યારેય આધ્યાત્મિક કે નૈતિક વિચાર પ્રેરક પુસ્તક વાંચવા માગ્યુજ નથી.” 
      થોડા સમય પૂર્વે વાંચવામાં આવ્યુ કે, માત્ર અગિયારમું ધોરણ ભણતો એક વિદ્યાર્થી હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે તેના પર રેગીંગ થયું. અને ગંદા પુસ્તકોનો ખડકલો તેના ઉપર મુકવામાં આવ્યો. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પરાણે એ છોકરાને પુસ્તકો વંચાવ્યા અને એ છોકરાને લત લાગી ગઈ.આજે હોસ્ટેલમાં એક પણ વિધાર્થી એવો નથી કે જેને આવા પુસ્તકોની લત ના લાગી હોય.
                          આજની યુવા પેઢીને આવી વિકૃતાતાની દિશામાં ધકેલવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. નવી પેઢી વિકૃતાતાના અવતારો ધારણ કરી રહ્યું છે. ત્યારે આ યુવા પેઢી ક્યાં જઈ પહોંચશે ? એ ના પરિણામ નો વિચાર પણ હદય કંપાવી મુકે એવો છે. પરંતુ આમ શાથી બની રહ્યું છે ? જ્યાં આપણી સંસ્કૃતિમાં શબ્દને “શબ્દ બ્રમ્હ” કહીને બ્રમ્હની તોલે મુકવામાં આવ્યો છે, જ્યાંના સંસ્કારી શબ્દોએ ભારતવર્ષમાં વાલિયા માંથી વાલ્મીકિનું નિર્માણ કર્યું છે, રાક્ષસ કુળમાં પ્રહલાદને જન્માવ્યો છે.ત્યાં આજે જન્મ લેતો દરેક બાળક આંતકવાદનું રૂપતો ધારણ નહી કરને ? એવો ભય શા માટે સતાવી રહ્યો છે ? કારણ છે સદવાંચનની શૂન્યતા.
    કેટલા માં-બાપ એવા હશે કે જેમણે પોતાના પુત્ર કે પુત્રીના જન્મદિવસે એક સારું પુસ્તક ભેટમાં આપ્યું હશે ? અને એ પુસ્તક વંચાવવાનો આગ્રહ રાખ્યો હશે ? હા, આજે માં- બાપ પુત્ર-પુત્રીઓ ની પરિક્ષાઓ માટે તૈયાર થયા છે, પરંતુ નૈતિકતા પ્રેરનાર, સંસ્કાર પ્રેરક પુસ્તકો વાંચવા માટે તો હજી કુંભકરણની નિંદ્રામાંજ સુતા છે આજના માં-બાપ...!
    આપણે ત્યાં સારા પુસ્તકોની અછત નથી. એનો ઉપયોગ કરનારાઓની અછત છે. જોઈ આવો લાખોને કરોડોના ખર્ચે નિર્માણ પામેલા પુસ્તકાલયો...આપણા કરતાતો વધારે  કરોળિયાને, ઉધીએજ એ પુસ્તકોનો વધારે લાભ લીધો છે.
            આજની મોબાઈલને કમ્પ્યુટર યુગમાં જીવતા દરેકને કહેવાનું થયા કે શું આપણે fb માં ને whatsaap માં નકામી વાતો કરવા કરતા સારા બે ચાર વાક્યો ફોરવર્ડ ના કરી શકીએ. મોબાઈલમાં ફોટા પાડીને અસાઇમેન્ટ તૈયાર કરતા કોલેજીયનો સારા પુસ્તકોના પાનાઓ ના ફોટા પાડીને થોડીવાર વાંચી ના શકે...? 
          શબ્દોમાં પણ તાકાત હોય છે કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ કરી શકે. અને ગમે તેવા  માણસને વ્યસની, વ્યભિચારી ને આંતકવાદીમાં પલટી નાખે. ઈતિહાસ ગવાહ છે કે હિટલરની આત્મકથા વર્ણવતું પુસ્તક ‘main kamplf’ પશ્ચિમી જગતમાં વિનાશ નોતરી ગયું. આમેરીકન લેખક નોર્મન કઝીન્સ નોંધે છે, “આ પુસ્તકના એક એક શબ્દે ૧૨૫ લોકોની જિંદગી ખુવાર કરી છે. તેના દરેક પાને ૪૭૦૦ અને પ્રત્યેક  પ્રકરણે ૧૨ લાખ લોકોની જન લીધી છે.”

         જવાદો આ બધી વાત જ્યાં આખી પૃથવી વિકૃતિના કાંટાઓથી ઉભરાયેલી છે, ત્યાં આપણે કેટલા કાંટા દુર કરીશું ? બહેતર એ છેકે  આપણે સદવાંચન રૂપી ચપ્પલ પહેરી લઈએ. જેથી આપણે અને આપણી આવનારી પેઢી આ વિકૃતિ માંથી બચી શકે. જો આ વાંચ્યા પછી  જો આપ દરરોજ  ઓછામાં ઓછુ દસ મિનીટ એક સારું પુસ્તક વાંચવા માટે તૈયાર થયા હોય તો મારું લખેલું સાર્થક છે અને તમારું વાચેલું સાર્થક છે. અને આજ એક માધ્યમ છે કે જે ભારતને વિશ્વગુરુ બનાવી શકશે.
         
સોફ્ટવેવ – “ જે માણસ કચરા જેવું સાહિત્ય વાંચે છે, તે અભણ જ છે. અર્થાત્ તે સાવ અભણ કરતા કઇ વિશેષ નથી.”      - માર્ક ટવેન


- રાજ પેથાણી

1 comment: